ભારતીય જ્ઞાન પરંપરાના વૈજ્ઞાનિક સિદ્ધાંતો
જ્ઞાન, વિજ્ઞાન અને અદભુત સંશોધનોની એક એવી સફર... જેની શરૂઆત હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિ-મનીષીઓ દ્વારા થઈ અને જેનો સ્વીકાર આજે આખું વિશ્વ કરી રહ્યું છે.
આપણું ગણિત, ખગોળશાસ્ત્ર, ધાતુ વિજ્ઞાન અને ટાઉન પ્લાનિંગ – આ માત્ર આપણો ભૂતકાળ નથી, પણ આપણા ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના એક સરાહનીય અભિગમ સાથે, હવે બી.કોમ, બી.એસ.સી અને બી.એ ના તમામ પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ભારતીય જ્ઞાન પરંપરાનો વિષય અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યો છે.
મિત્રો, આ અભ્યાસક્રમ કોઈ કાલ્પનિક સિદ્ધાંતો કે વાર્તાઓ પર આધારિત નથી, પરંતુ આધુનિક વિજ્ઞાન દ્વારા સ્વીકૃત સિદ્ધાંતોના નક્કર પ્રમાણો પર ઘડવામાં આવ્યો છે. આ કોર્સ કુલ ૮ અઠવાડિયા, ૨૨ મોડ્યુલ્સ (વિડીયો લેક્ચર્સ) અને સમૃદ્ધ ઈ-કન્ટેન્ટ માં વહેંચાયેલો છે, જે ૨ ક્રેડિટ્સ ધરાવે છે.
આ જ્ઞાનયાત્રાની શરૂઆતમાં, સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરા જેવા મૂળભૂત શબ્દોનો સાચો અર્થ સમજીશું. ભારતીય જ્ઞાન પરંપરાના પાયાના સિદ્ધાંતોની સાથે વૈદિક અને અવૈદિક સાહિત્યના સ્વરૂપો અને તેના વિવિધ પ્રકારો વિશે પરિચય કેળવીશું.
એટલું જ નહીં, દર્શન શાસ્ત્ર અને વિજ્ઞાનના સમન્વયને સમજીને, પદાર્થના ગુણ અને સ્વભાવની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક સમાનતાઓ પરથી પડદો ઉઠાવીશું.
આ કોર્સમાં આપણે પ્રાચીન ભારતની સમાજ વ્યવસ્થા, શિક્ષણ પ્રણાલી, ગુરુકુળ પરંપરા અને વિશ્વવિદ્યાલયોના ઇતિહાસને જાણીશું. પ્રાચીન શાસન પદ્ધતિ, નગર રચના અને જુદી જુદી કલાઓનો પરિચય પણ આમાં સામેલ છે.
તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે આ કોર્સમાં પ્રાચીન ભારતીય ગણિત, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, મેટલ ટેકનોલોજી (ધાતુ વિજ્ઞાન) અને આયુર્વેદના 'ત્રિદોષ સિદ્ધાંત' નો સમાવેશ કરાયો છે. સાથે જ, કાલગણના અને ભૂમિતિના શાસ્ત્રીય નિયમો પણ આપણે શીખીશું.
આધુનિક રસાયણ વિજ્ઞાન જેને આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ, તે પ્રાચીન 'રસશાસ્ત્ર' અને તેની પ્રયોગશાળાઓમાં કેવી રીતે પ્રયોજાતું હતું, તેની વિગતો પણ અહીં પ્રસ્તુત છે. સૌથી મોટું આકર્ષણ તો એ છે કે, આપણે સિંધુ ખીણની સભ્યતાના પ્રખ્યાત નગરો લોથલ અને ધોળાવીરાનું ટાઉન પ્લાનિંગ અને કોણાર્ક, લેપાક્ષી તેમજ જગન્નાથ પુરી જેવા ભવ્ય મંદિરોના સ્થાપત્ય પાછળ છુપાયેલા ઇજનેરી વિજ્ઞાનનો પણ અભ્યાસ કરવાના છીએ.
આ કોર્સ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ વાયબ્રન્ટ કેસ સ્ટડીઝ અને પ્રેક્ટિકલ સિમ્યુલેશનથી સજ્જ છે.
જો તમે વિદ્યાર્થી છો, તો આ કોર્સ વૈશ્વિક ફલક પર તમારી કારકિર્દીને નવી ધાર અને સ્પર્ધાત્મક ઉંચાઈ આપશે. જો તમે વ્યાવસાયિક કે વેપારી છો, તો આનાથી તમારી નિર્ણય શક્તિ, નેતૃત્વ અને સંબંધોનું સંચાલન વધુ મજબૂત બનશે, અને જો તમે સંશોધન ઉત્સાહી (Research Enthusiast) છો, તો IKS તમારા માટે સંશોધનની બિલકુલ નવી અને અજાણી ક્ષિતિજો ખોલશે.
તો પછી રાહ શેની જોઈ રહ્યા છો? આજના આધુનિક યુગમાં ભારતીય જ્ઞાનની વૈજ્ઞાનિક ભવ્યતાને સ્વીકારવા અને તમારા ભવિષ્યને વધુ સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે આજે જ જોડાઓ.
SWAYAM પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ ડિજિટલ કોર્સ 'Concept of Sciences in IKS' માં આજે જ એનરોલ કરો. આવો, આપણે સૌ સાથે મળીને આ જ્ઞાનયજ્ઞ અને ભવ્ય જ્ઞાનયાત્રાનો પ્રારંભ કરીએ.
ધન્યવાદ! જય હિન્દ!